વાઘેલાની 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી'ના પ્રદેશ કાર્યાલયનું કરાયું ઉદ્ધાટન

December 22, 2024

અમદાવાદ : આજે (22 ડિસેમ્બર, 2024) ગાંધીનગરના અડાલજ ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુની ઉપસ્થિતિમાં આયોજિત 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી'ના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે નવી પાર્ટીના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ દાંતા સ્ટેટ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની વરણી પણ કરાઈ હતી. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ રિદ્ધિરાજસિંહજી પરમારે પક્ષના ભાવિ માટેના તેમના વિઝનની રૂપરેખા આપી હતી. રિદ્ધિરાજસિંહજી પરમારે જણાવ્યું હતું કે, 'આ પ્રજાની પાર્ટી છે, જ્યાં નેતાનું ભાષણ નહિ, પરંતુ પ્રજા સાથે સીધો સંવાદ અને તેમની સમસ્યા દૂર કરવાના વિઝન સાથેની પાર્ટી છે.'


આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'પક્ષો આવવાના અને જવાના છે. જે જનતા પાર્ટી 1970માં સરકાર લાવી, કયા છે એ પાર્ટી? કયા છે એ પાર્ટીઓ? પરંતુ જાહેર જીવનમાં કેવા લોકોના હાથમાં સુકાન છે એ મહત્વનું છે. ક્યારે શું હશે એ કલ્પના હોય, વહીવટની કલ્પના હોય. અમે લોકો જાહેર જીવનમાં ડબલું કૂટવા નથી આવ્યા, MP-MLA બનવા નથી આવ્યા. પાર્ટીના હાથમાં છે કે પ્રજાને જીવતી રાખવી, ડરમાં રાખવી, મજા કરાવવી કે મોંઘવારીમાં રાખવી! પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને 2021માં ભારતના ચૂંટણી આયોગમાં માન્ય પક્ષની મંજૂરી મળી હતી, અને 2023માં રાજ્ય ચૂંટણી આયોગે માન્યતા આપી હતી.'

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. શંકરસિંહે કહ્યું હતું કે, 'રાજકીય પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે, મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું ચાલે છે. જે પાર્ટી પોતાની પાર્ટીઓના અંદરના લોકોનું અહિત કર્યું છે અને પોનજી સ્કીમ વાળાને ટોપી પહેરાવવાની અને બુટલેગરને સ્ટેજ પર પગે લાગવાનું.' બાપુએ તેમના પાર્ટીના કાર્યકરોને કહ્યું કે, 'મરી ગયેલી પ્રજા છે અને તમે મારશો? પોલીસ, કોર્ટ, અધિકારીઓ મારશે, તમે એને ના મારશો, એને ના છેતરશો.'