ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો

November 28, 2025

મહેસાણામાં ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક માનસિક તણાવમાં હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  મળતી માહિતી મુજબ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના ફાર્મહાઉસમાં ભરત માનસંગભાઈ કઠિયારા નામના યુવકે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મૃતક યુવક ઉડળી ગામનો રહેવાસી હતો અને 10 વર્ષ પહેલા ખેડૂત ભાગીયા અને ડ્રાઈવર તરીકે અહીં હતો. મૃતક માનસિક તણાવમાં હતો અને જગ્યાથી પરિચિત હતો એટલે અમારી ગેરહાજરીમાં આવ્યો હતો. આપઘાતના બનાવ અંગે પોલીસે જણાવ્યું કે, આત્મહત્યાની ઘટના ગત 25 નવેમ્બરની છે. મૃતક યુવક ટ્રેક્ટરનો ડ્રાઈવર હતો. ઘટના બાદ પોલીસે મૃતકના પરિવારના નિવેદન નોંધ્યા છે અને આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.