ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ

September 02, 2026

ઉત્તરાખંડ, આસામ, યુપી, ઝારખંડ અને હિમાચલમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડામાં કાટમાળમાં 2 મહિલા, 1 બાળક અને અન્યત્ર 2 નેપાળી મજૂરો દટાયા હતા. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીમાં 26 વર્ષીય માતા અને 1.5 વર્ષની પુત્રી તણાતાં ઉત્તરાખંડમાં કુલ 7 મોત થયાં હતા. બીજી તરફ ગુવાહાટીના મથઘરિયામાં દંપતી, 11 વર્ષીય બાળકી અને અન્યત્ર 65 વર્ષીય વૃદ્ધ સહિત 4 લોકોનાં ભૂસ્ખલનથી મોત નીપજ્યાં હતા.

ટિહરી અને નૈનીતાલમાં નુકસાન વચ્ચે રાજ્યમાં 3 નેશનલ હાઈવે સહિત 172 માર્ગો બંધ થતાં બાગેશ્વરના NH-109 પર એમ્બ્યુલન્સ સહિત વાહનો ફસાયા હતા. ખરાબ હવામાનથી સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા આદેશ અપાયા હતા.

યુપીના લખીમપુર ખેરીમાં પૂર અને સીતાપુરમાં દીવાલ પડતાં 2 લોકોનાં મોત થયાં હતા. ઉન્નાવમાં ગંગા એક્સપ્રેસવેમાં ગાબડું પડ્યું હતું. ચિત્રકૂટમાં મંદાકિની 4 મીટર ઉપર વહેતાં ડૂબેલા રામઘાટ-નિર્મોહી અખાડામાંથી સેનાના હેલિકોપ્ટરે બચાવ કર્યો હતો. વારાણસીમાં ગંગા વધતાં મણિકર્ણિકા-હરિશ્ચંદ્ર ઘાટ ડૂબવાથી છતો પર અંતિમ સંસ્કાર ચાલુ છે, જ્યારે બલિયામાં ગંગા 1.60 મીટર ઉપર વહેતાં 20 હજાર લોકો પ્રભાવિત થયા છે.

ઝારખંડના 10 જિલ્લામાં ફ્લેશ ફ્લડ એલર્ટ અંતર્ગત ગઢવા, પલામૂ, સિમડેગા, પશ્ચિમ સિંહભૂમમાં રેડ અને લાતેહાર, લોહરદગા, ગુમલામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પૂર્વ સિંહભૂમના ડુમરિયામાં 217 મીમી વરસાદ ખાબક્યો હતો. જમશેદપુરમાં ખરકઈ અને સ્વર્ણરેખા નદીઓ ભયજનક સપાટીએ પહોંચતાં ગઢવામાં 2 અને 3 સપ્ટેમ્બરે શાળાઓ બંધ રાખવામાં આવી છે.