મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ

August 12, 2026

મુંબઈના વિલે પાર્લે વેસ્ટ વિસ્તારમાં 12માળની બિલ્ડિંગના 11મામાળે આગ લાગવાથી 2 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકોને ઈજા થઈ છે. આ દુર્ઘટના મંગળવારે રાતે બની હતી. આગ લાગતા અનેક લોકો અંદર ફસાયા હતા, ફાયર બ્રિગેડે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ભારે પ્રયાસ છતાં 2 લોકોને બચાવી શકાયા નહોતા.

આગની ઘટના બાપ્ટિસ્ટા રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે ચર્ચ રોડ પર સ્થિત શાંતા ભવન બિલ્ડિંગના ફ્લેટ નંબર 1101 અને 1102માં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આગ ધીમે ધીમે વીજળીના વાયરિંગ, AC યુનિટ, સોફા, બેડ, ફોલ્સ સીલિંગ અને રસોડાના સાધનોમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં લગભગ 4,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી અને આખો પરિવાર અંદર ફસાયો હતો.

આ દુર્ઘટનામાં કુલ 8 લોકો ઘાયલ થયા હતા. 2 ઘાયલોને કૂપર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે 6 લોકોને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કૂપર હોસ્પિટલમાં 30 વર્ષના ફાયરમેન મનોજ સોનવણે અને 29 વર્ષના શિવમ દ્વિવેદીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. નાણાવટી હોસ્પિટલમાં 2.5 વર્ષના અબીર અને 23 વર્ષની અંકિતાને મૃત જાહેર કરાયા હતા.

આગની ઘટના અંગે BMCએ નિવેદન આપ્યું હતું કે દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા હતા અને 2 લોકોના મોત થયા છે. નાણાવટી હોસ્પિટલમાં 4 ઘાયલોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. મૃતકોમાં અઢી વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે.