5 રાજ્યોના ચૂંટણી પરિણામ: બંગાળ-આસામમાં કેસરિયા, કેરલમમાં કોંગ્રેસની વાપસી, તમિલનાડુમાં 'વિજય ભવ:'

May 05, 2026

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ઈતિહાસમાં પહેલીવાર કમળ ખીલ્યું છે જ્યારે કેરલમમાં કોંગ્રેસે 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે. તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ સમાન સુપરસ્ટાર વિજયના પક્ષ TVKએ બાજી મારી છે. 


પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે!: PM મોદી
પશ્ચિમ બંગાળમાં જીત મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે,' પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે, 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હંમેશા યાદ રહેશે. જનશક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની વ્યૂહનીતિનો વિજય થયો છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિને નમન કરું છું. જનતાએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. અમે એવી સરકાર આપીશું જે સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવની ખાતરી આપે. પેઢીઓથી અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયત્નો અને સંઘર્ષ વિના પશ્ચિમ બંગાળમાં ભાજપની આ વિક્રમી જીત શક્ય ન હોત. હું તે તમામને સલામ કરું છું. વર્ષોથી, તેઓએ જમીન પર સખત મહેનત કરી છે, તમામ પ્રકારના પડકારનો સામનો કર્યો છે અને આપણા વિકાસના એજન્ડા વિશે વાત કરી છે. તેઓ જ અમારી પાર્ટીની શક્તિ છે.'

તૃણમૂલ મહા સચિવ અભિષેક બેનરજીની પ્રતિક્રિયા
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મહાસચિવ અભિષેક બેનરજીએ જણાવ્યું કે, 'એક સભ્ય સમાજમાં લોકો જે પણ ચુકાદો આપે છે, તેને દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ. મતોની ગણતરીની પ્રક્રિયા અસામાન્ય રીતે ધીમી ચાલી રહી છે. આ પહેલા 2021માં લગભગ 90% ગણતરી સાડા આઠ કલાકમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે એટલા જ સમયમાં માત્ર 6-8 રાઉન્ડ જ પૂર્ણ થયા છે. હું દરેકને ધીરજ જાળવી રાખવા વિનંતી કરું છું. તૃણમૂલના તમામ કાઉન્ટિંગ એજન્ટોને પણ અપીલ કરું છું કે તેઓ કોઈપણ સંજોગોમાં કાઉન્ટિંગ સેન્ટર છોડીને ન જાય. ઘણી જગ્યાએ પરિણામો મીડિયાને જણાવવામાં પણ નથી આવી રહ્યા. વર્ધમાન દક્ષિણમાં તૃણમૂલ કોંગ્રેસ પહેલેથી જ જીત મેળવી ચૂકી છે, તેમ છતાં મતોની ફરીથી ગણતરી કરવામાં આવી રહી છે.' અભિષેક બેનર્જીએ એવો પણ દાવો કર્યો છે કે, કલ્યાણીમાં ઓછામાં ઓછી આઠ એવા EVM છે, જ્યાં કંટ્રોલ યુનિટનો ડેટા Form 17C સાથે મેળ ખાતો નથી.

ભવાનીપુર બેઠક પર હોબાળો 
પશ્ચિમ બંગાળની વીવીઆઈપી (VVIP) બેઠક ભવાનીપુર પર હોબાળો થઈ રહ્યો છે. અહીં 12મા રાઉન્ડની મતગણતરીની જાહેરાત રોકી દેવામાં આવી છે. મતદાન કેન્દ્રની અંદર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી હાજર છે. અન્ય પાર્ટીઓના એજન્ટોનો આરોપ છે કે ભાજપના એજન્ટોએ તેમને બહાર કાઢી મૂક્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, ભવાનીપુર બેઠક પર 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે આ બેઠક પર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે.

એમ.કે.સ્ટાલિન ચૂંટણી હાર્યા, કોલાથુર બેઠકથી ચૂંટણી લડી હતી 
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન જ ચૂંટણી હારી ગયા છે. તેમણે કોલાથુર બેઠકથી ચૂંટણી લડી હતી. તેમની સામે ટીવીકેના વી.એસ.બાબુનો વિજય થયો છે. જોકે હજુ સુધી ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ જણાવે છે કે 22માંથી 16 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને સ્ટાલિન 7500 વોટથી પાછળ છે. 

જોરહાટ બેઠકથી ભાજપના ઉમેદવાર જીત્યાં, કોંગ્રેસના દિગ્ગજ ગૌરવ ગોગોઇની હાર 
આસામથી કોંગ્રેસને ઝટકો આપે તેવા મોટા સમાચાર એ છે કે પાર્ટીના મુખ્ય ચહેરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ હારી ગયા છે. તેમણે જોરહાટ બેઠકથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે 23182 વોટથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. 

મત ગણતરી વચ્ચે કોલકાતામાં હોબાળો, ભાજપ-તૃણમૂલના કાર્યકરો વચ્ચે માથાકૂટ 
પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કોલકાતાથી હિંસાના અહેવાલો આવવાનું શરૂ થઇ ગયું છે. આસનસોલ, બાંકુરા, કૂચબિહાર અને કોલકાતામાં પણ ભાજપ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે માથાકૂટ, બબાલ અને પથ્થરમારા જેવી ઘટનાઓના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે ભવાનીપુરમાં તો મત ગણતરી કેન્દ્રની બહાર જ ભાજપના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી.