TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત

June 14, 2026

દિલ્હી- દિલ્હીમાં રવિવારે TMCના આશરે 20 સાંસદો બળવાખોર થઈ ગયા છે. આ તમામ નેતાઓ પહેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે ગયા હતા અને ત્યાં આશરે 2 કલાક બેઠા હતા. ત્યાર બાદ આ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલી કલહ અને નારાજગી હવે ખુલ્લીને સામે આવી ગઈ છે. બળવાખોર સાંસદોમાં સુદીપ બંદ્યોપાધ્યાય, કાકોલી ઘોષ અને શતાબ્દી રોય જેવા મોટા નામો સામેલ છે. આ જૂથે જાહેરાત કરી છે કે, તેઓ અસમ, ત્રિપુરા, બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા નામની પાર્ટીમાં વિલય કરી રહ્યા છે.

તેઓ હવે આગળ જઈને ભાજપની આગેવાની હેઠળના NDAને પોતાનું સમર્થન આપશે. આ સાંસદોની સંખ્યા બે-તૃતીયાંશથી વધુ હોવાથી તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં. લોકસભા સ્પીકર સાથેની બેઠક બાદ ટીએમસીના બાગી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે, ‘અમે ટીએમસીથી ચૂંટાયેલા વીસ સાંસદો સ્પીકરને મળ્યા અને અલગ બેસવાની રિકવેસ્ટ કરતો એક પત્ર આપ્યો. આ વીસ સાંસદો અમારી કુલ સંખ્યાના બે-તૃતીયાંશથી વધારે છે. અમે નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી સાથે મર્જ કરી રહ્યા છીએ. આગળ વધતા, અમે દેશ માટે કામ કરીશું અને વડાપ્રધાનના નેતૃત્વમાં NDA સાથે મળીને કામ કરીશું. આ મામલે અન્ય બાગી સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે જણાવ્યું કે, NCPIમાં અમે મર્જ કરીશું. સ્પીકર પાસે હસ્તાક્ષર સહિતનું આવેદનપત્ર જમા કરાવી દેવાયું છે. તેના પછી 20 જુલાઈએ લોકસભા ખુલશે. તે પહેલા અમારો બ્લોક રહેશે. તેમને દફતર આપવામાં આવશે. તેના પછી કોણ અસલી તૃણમૂલ છે, તેનો ફેંસલો કોર્ટમાં થશે અને કોર્ટનો જે ફેંસલો હશે, તેને માનવામાં આવશે.