જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી, 13નાં મોત; 2.6 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

July 29, 2026

જાપાનના દક્ષિણ ટાપુ ક્યૂશૂમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી સર્જી છે. વડાપ્રધાન સનાઈ તાકાઈચીના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક ઈમારતો ધરાશાયી થતાં કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં જોવા મળી હતી. અહીં એયોન મોલની એક ઈમારત ધરાશાયી થયા બાદ ગેસ ગળતર થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. કાટમાળમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા છે. યાત્સુશિરોમાં એક ઉદ્યોગની વિશાળ ચીમની તૂટી પડતાં પણ અનેક કર્મચારીઓ દબાયા હોવાની માહિતી મળી છે અને ત્યાં પણ બચાવ કામગીરી ચાલુ છે.

અધિકારીઓએ કુમામોતો અને આસપાસના વિસ્તારોમાંથી 2.6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે. ભૂકંપ બાદ જાહેર કરાયેલ સુનામીની ચેતવણી હવે પરત ખેંચી લેવામાં આવી છે, જોકે આગામી બે-ત્રણ દિવસ સુધી આફ્ટરશોકની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યું કે અનેક રસ્તા, પુલો અને ઈમારતોને નુકસાન થયું છે તેમજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને આગની ઘટનાઓ પણ બની છે. જોકે દેશના ત્રણેય પરમાણુ ઊર્જા પ્લાન્ટ સુરક્ષિત છે. ભૂકંપની અસરને કારણે અનેક ઉદ્યોગો અને પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે, જ્યારે સંરક્ષણ મંત્રાલયે રાહત કામગીરી માટે સેનાને તહેનાત કરી છે.