કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ

April 24, 2026

'મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ પર ટકી રહેવું એ બંધારણ પર હુમલો'

દિલ્હી- દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 73 વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે રાષ્ટ્રપતિને એક નોટિસ સોંપી છે. કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશે આ જાણકારી આપતા જણાવ્યું કે, સાંસદોએ રાષ્ટ્રપતિને સંબોધિત એક પત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે. સાંસદો દ્વારા સોંપવામાં આવેલી નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર 'સાબિત થયેલ ગેરવર્તણૂક'નો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગેરવર્તણૂક 15 માર્ચ 2026 કે તેના પછી કરવામાં આવેલા કાર્યો અને ચૂક સાથે સંબંધિત છે. આ આરોપને ભારતીય બંધારણની કલમ 324 (5) ની સાથે કલમ 124 (4) હેઠળ, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ની કલમ 11 (2) અને ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ વર્ણવવામાં આવ્યો છે. જયરામ રમેશના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ નવ વિશિષ્ટ આરોપો છે, જે વિગતવાર દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે અને જેને નકારી કે છુપાવી શકાતા નથી. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ પર ટકી રહેવું એ બંધારણ પર હુમલો છે અને તે અત્યંત શરમજનક છે કે તેઓ વડાપ્રધાન અને ગૃહમંત્રીના ઇશારે કામ કરી રહ્યા છે.