સુરતથી કાનપુર જતી ખાનગી અચાનક બસમાં ધૂમાડા બાદ આગ લાગી, મુસાફરોએ બારીના કાચ તોડી કૂદીને જીવ બચાવ્યો

August 25, 2026

મધ્ય પ્રદેશના સરદારપુરમાં ભોપાવર ચોકી નજીક મોડી રાત્રે સુરતથી કાનપુર જઈ રહેલી ખાનગી મુસાફર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસમાંથી ધુમાડો નીકળતો દેખાતાં ચાલકે રસ્તા પર બસ ઊભી કરી દીધી હતી અને ત્યારબાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો. બસમાં ધુમાડો અને આગ ફેલાતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી. કેટલાક મુસાફરો દરવાજેથી બહાર નીકળી ગયા હતા, જ્યારે અન્ય લોકોએ બારીના કાચ તોડી બહાર કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

મુસાફરોએ જણાવ્યું હતું કે ગુજરાતના દાહોદ પાસે એક હોટેલમાં બસને આશરે 4 કલાક રોકવામાં આવી હતી અને તેમાં ટેકનિકલ કામ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ કાનપુર તરફ રવાના થઈ હતી. કાનપુરના રહેવાસી નીલમ પાલે કહ્યું કે તેઓ પોતાના 8 વર્ષના પુત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. અચાનક બસમાં ધુમાડો ભરાઈ જતાં તેમણે પહેલાં બારીમાંથી પુત્રને બહાર કાઢ્યો અને ત્યારબાદ પોતે પણ બહાર નીકળી જીવ બચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં સરદારપુરના એસડીઓપી વિશ્વદીપ સિંહ પરિહાર પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને પગલે માર્ગની એક તરફનો વાહનવ્યવહાર બંધ કરીને બીજી તરફથી વાહનોને પસાર કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ બસ મોટાભાગે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે મુસાફરોને ઈન્દોર તરફ જતી અન્ય બસોમાં બેસાડી આગળ રવાના કરવાની વ્યવસ્થા કરી હતી.