Breaking News :
મલેશિયાના કમ્પોન્ગ બહાગિયામાં મોડી રાત્રે ભીષણ આગ: 1000 ઘરો બળીને ખાખ થતા 9000 લોકો બેઘર દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં માવઠાની શક્યતા: તાપમાનમાં વધારા વચ્ચે વાતાવરણ પલટાશે દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: પાડોશીએ 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, પરિણામ બાદ કોઈને છોડવામાં આવશે નહીં' મહિલા સશક્તિકરણ માટે સરકાર મક્કમ : ૨૦૨૯ની ચૂંટણી પહેલાં ૩૩ ટકા અનામત લાગુ કરવા કાયદાકીય વિકલ્પોની શોધ શરૂ ચારધામ યાત્રાનો પ્રારંભ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ્યા : ૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન

દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: પાડોશીએ 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા

April 20, 2026

દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે માત્ર પાર્કિંગના વિવાદમાં એક 34 વર્ષીય યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. દિલ્હીના પ્રીત વિહારના એ-114 વિસ્તારમાં મોડી રાત્રે અંદાજે 2:20 વાગ્યાની આસપાસ પાર્કિંગ બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ જોતજોતામાં એટલો ઉગ્ર બન્યો હતો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક પક્ષમાં પંકજ નૈયર અને તેનો મોટો ભાઈ હતા, જ્યારે સામા પક્ષે ત્યાંનો જ સ્થાનિક રહેવાસી ગૌરવ શર્મા હતો. આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા ગૌરવ શર્માએ પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢીને પંકજ નૈયર પર સીધું ફાયરિંગ કર્યું હતું.

ગૌરવ શર્માએ ચલાવેલી ગોળી પંકજની છાતીમાં વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગોળીબારના અવાજથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ પંકજને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ પંકજને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસના બે પીસીઆર વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ મુખ્ય આરોપી ગૌરવ શર્મા અને તેના સાથીઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે પંકજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. દિલ્હી પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીઓના ભાગવાના રૂટ વિશે ચોક્કસ માહિતી મળી શકે. નજીવી બાબતે થયેલી આ હત્યાએ મહાનગરોમાં વધતી જતી અસહિષ્ણુતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.