ભારતની એક ધમકીથી પાકિસ્તાનીઓમાં સળવળાટ, હવે સિંધુ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં જશે

April 30, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલ બાદ ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પાસેથી ચોક્કસ બદલો લેવામાં આવશે. પાકિસ્તાનને પણ લાગે છે કે ભારત પણ મોટો હુમલો કરશે. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવીને જે કડક પગલું ભર્યું છે, તેનાથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.  1965, 1971 અને 1999ના પાકિસ્તાન સાથેના યુદ્ધો પછી પણ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી ન હતી. પુલવામા અને ઉરી હુમલા પછી પણ ભારતે સંધિ ચાલુ રાખી. પરંતુ આ વખતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવો જરીરી છે, આથી સિંધુ જળ સંધિ તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણોસર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના પગલા અંગે આંતરરાષ્ટ્રીય કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે અને દેશની ટોચની કાનૂની સંસ્થાએ આ મામલે સરકારને મદદ કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે. પાકિસ્તાનના કાનૂની બાબતોના રાજ્યમંત્રી, બેરિસ્ટર અકીલ મલિકે રોઇટર્સને જણાવ્યું હતું કે, 'સરકાર ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરી રહી છે, જેમાં વિશ્વ બેન્કે આ સંધિ દરમિયાન મધ્યસ્થીનું કામ કર્યું હોવાથી તેની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવશે. બેરિસ્ટર અકીલ મલિકે કહ્યું કે, 'પાકિસ્તાન કાયમી મધ્યસ્થી અદાલત અથવા હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કાર્યવાહી કરવાનું પણ વિચારી રહ્યું છે. અહીં પાકિસ્તાન દલીલ કરી શકે છે કે ભારતે સંધિને સ્થગિત કરીને 1969ના વિયેના સંમેલનનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગેની કાનૂની વ્યૂહરચના પર ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે, તેમજ કયા કેસ ચલાવવા તે અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે, અને તેમાં એક કરતાં વધુ વિકલ્પો સામેલ હશે.'