અબુ આઝમીને 'ઔરંગઝૈબ' અંગેની ટિપ્પણી ભારે પડી, મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા

March 05, 2025

અબુ આઝમીને 'ઔરંગઝૈબ' અંગેની ટિપ્પણી ભારે પડી. ઔરંગઝેબ અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસીમ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમને વર્તમાન સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભા સત્રમાં અબુ આઝમીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, તેમને માત્ર એક સત્ર માટે જ સસ્પેન્ડ ન કરવા જોઈએ, તેમને વિધાનસભામાંથી હટાવી દેવા જોઈએ. છત્રપતિ શિવાજી પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને આપણે સરળતાથી છોડી ન શકીએ.  જોકે, ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ધારાસભ્યોને એક કરતાં વધુ સત્ર માટે સસ્પેન્ડ નથી કરી શકાતા. અમે એક સમિતિ બનાવીશું જે મૂલ્યાંકન કરશે કે શું આઝમીને ધારાસભ્ય તરીકે તેમના સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી શકાય છે કે નહીં? ઔરંગઝૈબ પર વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણ ગરમાતા આબુ આઝમીએ સપષ્ટતા આપતા કહ્યું હતું કે, 'હું શિવાજી મહારાજ અને શંભાજી મહારાજ વિરુદ્ધ બોલવા અંગે વિચારી પણ નથી શકતો. મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ઔરંગઝેબ વિશ, મેં માત્ર એ જ કહ્યું છે જે ઈતિહાસકારો અને લેખકોએ કહ્યું છે. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષ વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી નથી કરી.' તેમણે આગળ કહ્યું કે, 'હું એટલો મોટો નથી. મેં જે કંઈ કહ્યું તે કેટલાક ઇતિહાસકારોનું નિવેદન હતું. જો મારા આ નિવેદનોથી કોઈને દુઃખ થયું હોય, તો હું બિનશરતી માફી માંગુ છું અને મારું નિવેદન પાછું લઉં છું.' તમને જણાવી દઈએ કે, ઔરંગઝેબ પરની ટિપ્પણી બદલ મહારાષ્ટ્રના થાણેમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આઝમીએ એક નિવેદનમાં ઔરંગઝેબનો બચાવ કરતા નિવેદન આપ્યું હતું કે, 'હું 17મી સદીના મુઘલ સમ્રાટ ઔરંગઝેબને ક્રૂર, જુલમી કે અસહિષ્ણુ શાસક માનતો નથી. આજકાલ ફિલ્મો દ્વારા મુઘલ સમ્રાટની વિકૃત છબી બનાવવામાં આવી રહી છે.'