વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ નવો તાલુકો બનશે, શંકર ચૌધરીના સંકેત

February 09, 2025

વાવ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાને લઈને 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો. જેમાં નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જ્યારે થરાદના કીયાલ ગામ ખાતે લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું અને વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા હતા.

રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો હતો. જેને લઈને શંકર ચૌધરીએ થરાદના કીયાલ ગામ ખાતે નિવેદન આપ્યું હતું. જેમાં વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપતાં તેમણે જણાવ્યું કે, 'આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે અને કીયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું.'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની 1 જાન્યુઆરી, 2025ના રોજ જાહેરાત કરી હતી. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.