તુ-તુ-મૈં-મૈં બાદ કંગના રણૌતે બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ, રક્ષાબંધને સ્વીકારી મીઠાઈ

August 28, 2026

દિલ્હી : યોગગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ તથા અભિનેત્રી કંગના રણૌત વચ્ચે વીતેલા દિવસોમાં અત્યંત તીખી અને અંગત નિવેદનબાજી જોવા મળી હતી. જોકે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કંગના રણૌતે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જૂના વિવાદો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. કંગનાએ બાબા રામદેવને પોતાના 'મોટા ભાઈ' ગણાવ્યા છે અને કહ્યું છે કે આ તહેવાર જૂના ગિલા-શિકવા ભૂલી જવા માટે હોય છે.


કંગનાએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં લખ્યું હતું કે, "તહેવારનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે જ હોય છે. મારા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સારું કહ્યું કે વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું તેમની મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ બંને સ્વીકારું છું. ખૂબ ખૂબ આભાર, ઈશ્વર આપને દીર્ઘાયુ આપે." હાલમાં જ જ્યારે બાબા રામદેવે શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં તેમને કંગના રણૌત અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં રામદેવે કંગનાના ચરિત્ર અને તેની જવાની પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, "તેમની જવાની કેવી રહી છે, તેમણે પોતાના વિશે વિચારવું જોઈએ." રામદેવે કંગનાની યોગ્યતા (ક્વોલિફિકેશન) પર પણ સવાલો ઉઠાવ્યા હતા.


બાબા રામદેવના નિવેદન પર કંગનાએ તીખો પલટવાર કરતા કહ્યું હતું કે, રામદેવે મારી જવાની અને બેડરૂમ વિશે સપના ન જોવા જોઈએ. એક ઈન્ટરવ્યુમાં કંગનાએ કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, "શું બાબા રામદેવ મારા બેડરૂમમાં ચામાચીડિયું બનીને લટક્યા હતા? તેમણે જે પણ જોયું હોય તે દેશને જણાવવું જોઈએ."