તીસ્તા નદીને લઈને બાંગ્લાદેશનો ચીનને ઠેંગો, વિવાદમાં ભારતની એન્ટ્રી થતાં ડ્રેગન ભડક્યું

July 15, 2024

દિલ્હી : બાંગ્લેદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ અતિ મહત્ત્વના તીસ્તા પ્રોજેક્ટ મુદ્દે આજે મહત્વની જાહેરાત કરી છે. તેમણે આ પ્રોજેક્ટ મુદ્દે ચીનને ઠેંગો દેખાડી ભારત પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો બીજીતરફ આ વિવાદમાં ભારતની એન્ટ્રી થતા ડ્રેગન પણ ભડક્યું છે. દરમિયાન આ પ્રોજેક્ટ અંગે છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ, ચીન અને ભારતમાં ચર્ચાઓ થઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે, આ પ્રોજેક્ટ મેળવવા માટે ભારત અને ચીન બંને થનગની રહ્યા છે, જોકે બાંગ્લાદેશના વડાંપ્રધાને ભારત પર વધુ વિશ્વાસ વ્યક્ત કરી ચીનને મોટો ઝટકો આપ્યો છે. તેમણે આજની પ્રેસ કોન્ફરન્સમાં ભારતને પ્રોજેક્ટ આપવાના ફાયદા પણ ગણાવ્યા છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ એક અબજ ડોલર છે.


વડાંપ્રધાન શેખ હસીનાની રાજધાની ઢાકામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે કહ્યું કે, અમે તીસ્તા પ્રોજેક્ટ માટે ભારત અને ચીન (India And China) બંનેને ઓફર આપી છે. આ પ્રોજેક્ટ માટે ચીને રિસર્ચ કર્યું છે, જ્યારે ભારત ટૂંક સમયમાં રિસર્ચ કરવાની છે. ત્યારબાદ અમે બાંગ્લાદેશના હિતમાં જે પણ નિર્ણય લેવાશે, તે લઈશું.’ આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, ‘આ પ્રોજેક્ટ માટે અમે સૌથી વધુ ભારતને પ્રાધાન્ય આપીશું, કારણ કે ભારતથી જ તીસ્તા નદીમાં જ પાણી આવે છે. જો તેઓ આપણને પાણી આપી રહ્યા છે, જે આપણને જોઈએ છે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમણે કહ્યું કે, આ જ ડિપ્લોમેસી છે, આમાં કંઈપણ છુપાવા જેવું નથી.