ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના

August 02, 2025

અમદાવાદમાં તાજેતરમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવવામાં આવેલા કેટલાક પોસ્ટરો વિવાદનું કેન્દ્ર બન્યા હતા. આ પોસ્ટરોમાં મહિલાઓ માટે શરમજનક અને છીછરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા આખરે ટ્રાફિક પોલીસ દ્વારા ઘાટલોડિયા, ચાણક્યપુરી અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાંથી વિવાદિત લખાણવાળા પોસ્ટરોને હટાવી દેવામાં આવ્યા છે. હવે માત્ર ટ્રાફિક જાગૃતિ માટેના જ પોસ્ટરો રાખવામાં આવ્યા છે. તંત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની પરવાનગીનો દુરુપયોગ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે જાહેર સંદેશા માટે જે હેતુથી પરવાનગી માંગવામાં આવી હોય, તેનું કડકપણે પાલન કરવું અનિવાર્ય છે. સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ પોસ્ટરોમાં મહિલાઓને રાત્રે પાર્ટીમાં ન જવા અને રેપનો ભોગ બની શકે તેવી ચેતવણી આપતા લખાણો હતા. આ બેનર પર લખવામાં આવ્યું હતું કે 'એ...રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો....? અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું હતું કે 'એ...રંગલા રાતની પાર્ટીઓમાં જવાનું નહીં... રેપ-ગેંગરેપ થઈ શકે છે.’ જેના પર ભારે વિવાદ થયો હતો. આ પોસ્ટરોમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અને સંદેશાને કારણે સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી. અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે 'સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટસના આધારે વિવાદિત પોસ્ટરો અંગે માહિતી પ્રાપ્ત થઇ હતી કે અમદાવાદના કેટલાક વિસ્તારો છોકરીઓએ એકલામાં જવાની કે પાર્ટીમાં જવા માટે આપત્તિજનક ટીપ્પણીઓ દર્શાવતા બેનર સતર્કતા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં નીચે સ્પોન્સર બાય ટ્રાફિક પોલીસ એમ લખવામાં આવ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઇ તાત્કાલિક બેનરો દૂર કરવામાં આવ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ટ્રાફિક જાગૃતિને લઇને બેનર લગાવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક અવરનેસના દાયરાથી બહાર જઇને આ પ્રકારના વિવાદાસ્પદ બેનર લગાવવામાં આવતાં સોલા પોલીસમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આ બેનર કોની પરવાનગીથી લગાવવામાં આવ્યા હતા? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધી હતી કે નહી? કયા ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યા હતા અને કોના દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ વિભિન્ન પાસાઓને તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઇનો ક્રિમિનલ ઇરાદો હશે તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.