PoK માં સુરક્ષા દળોનો બર્બર આતંક : પ્રદર્શનકારીઓ પર ગોળીબાર, 4 દિવસમાં 50થી વધુના મોત, ઇસ્લામાબાદમાં વિરોધ ફાટી નીકળ્યો

August 01, 2026

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. જમ્મુ-કાશ્મીર જોઈન્ટ પીપલ્સ એક્શન કમિટીના સભ્ય સરદાર ઉમર નઝીર કાશ્મીરીએ સુરક્ષા દળોની આકરી કાર્યવાહી પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, આ સમયગાળામાં 50 થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને બર્બર આતંકવાદ ગણાવતા તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર સીધો ગોળીબાર કરવામાં આવ્યો હોવાથી મૃત્યુઆંક આટલો ઊંચો રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે મુઝફ્ફરાબાદમાં પણ આ જ પ્રકારની ક્રૂર ઘટનાઓ બની છે.

સુરક્ષા દળોના આ દમન અને કાશ્મીરીઓની હત્યાના વિરોધમાં 31 જુલાઈના રોજ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલા G-10 મરકઝ ખાતે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ સેનેટર મુશ્તાક ખાન દ્વારા આયોજિત આ ઐતિહાસિક વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો અને કાશ્મીરીઓએ એકજૂટ થઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અત્યાચાર સામે પીઓકેમાં શરૂ થયેલું આ આંદોલન હવે વધુ વેગ પકડી રહ્યું છે.

હાલમાં રાવલકોટના ડી-ચોક ખાતે ધરણા પર બેઠેલા ઉમર નઝીર કાશ્મીરીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો આ વિરોધ સતત ચાલુ રહેશે. તેમણે જમ્મુ-કાશ્મીર જોઈન્ટ પીપલ્સ એક્શન કમિટીની સમગ્ર કોર કમિટી અને કાશ્મીરની જનતા વતી પૂર્વ સેનેટર મુશ્તાક ખાન તેમજ ઇસ્લામાબાદમાં એકઠા થયેલા તમામ પ્રદર્શનકારીઓનો વિશેષ આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ લોકો પીડિતોની પડખે અડીખમ ઊભા રહેશે અને પાકિસ્તાન સરકાર સામે આ રીતે જ જોરશોરથી પોતાનો અવાજ બુલંદ કરતા રહેશે.