પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની ગાડી બસ સાથે અથડાઈ, 4ના મોત

February 16, 2025

બારાબંકી : બારાબંકીમાં પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. રસ્તા પર બંધ પડેલી બસ સાથે પાછળથી આવી રહેલી એક મિની બસ અથડાઈ જતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે છ ઈજાગ્રસ્ત થયા હતા. આ મિની બસ શ્રદ્ધાળુઓને લઈને મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ રહી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ અકસ્માત બારાબંકીના લોની કટરામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે 21/7 પર થયો હતો. જ્યાં બંધ પડેલી બસ રસ્તા પર ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી ફૂલ સ્પીડે આવી રહેલી મિની બસ બેકાબૂ બનતાં અથડાઈ હતી. જેમાં 18 લોકો સવાર હતાં. તમામ મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ રહ્યા હતા. જેમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય છ ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બારાબંકીના એસપી દિનેશ સિંહે જણાવ્યું કે, રવિવાર સવારે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર આ દુઃખદ ઘટના બની હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર અર્થે સીએચસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.