પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયંત્રનો પર્દાફાશ

April 29, 2026

પંજાબના પટિયાલામાં રાજપુરા પાસે અંબાલા-અમૃતસર રેલ ફ્રેટ કોરિડોર પર સોમવારે રાતે 8 વાગ્યે એક માલગાડીની નીચે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બૉમ્બ ફિટ કરી રહેલા આતંકી જગરૂપ સિંહના ઘટનાસ્થળે જ ચીંથરા ઉડી ગયા હતા. પોલીસને તપાસ દરમિયાન ત્યાંથી એક ક્ષત-વિક્ષત શબ અને કેટલીક શંકાસ્પદ ચીજો મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક આતંકી તરનતારનનો રહેવાસી હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મલેશિયાના ખાલિસ્તાની સંગઠન અને પાકિસ્તાની ISIનો હાથ હોવાની શંકા છે. આ ટોળકીના 4 અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ ખાલિસ્તાન નેશનલ આર્મીએ રેલવે ટ્રૅક ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળેથી ઉત્તર પ્રદેશ અને હરિયાણા પાસિંગની બાઇકો પણ મળી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ વિસ્તારમાં આ બીજો બ્લાસ્ટ છે, જે એક મોટા આતંકી ષડયંત્ર તરફ ઈશારો કરે છે.