યુપીમાં મોટા ફેરબદલની તૈયારીમાં ભાજપ? દિગ્ગજોના પત્તાં કપાશે, વરિષ્ઠ નેતાઓની તાબડતોબ બેઠકો શરૂ

February 15, 2025

હવે ઉત્તર પ્રદેશમાં યોગી કેબિનેટના વિસ્તરણની તૈયારીઓ થઈ રહી છે. આ અંગે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ શુક્રવારે ડેપ્યુટી સીએમ કેશવ, બ્રજેશ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કેટલાક નવા ચહેરાઓ ટીમ યોગીનો હિસ્સો બનશે, જ્યારે સારું પ્રદર્શન ન કરી શક્યા હોય એવા નેતાઓને બહાર પણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સામાજિક સમરસતા પર પણ ધ્યાન આપવામાં આવશે.  મીટિંગ પછી, વિનોદ તાવડેએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠનના મહાસચિવ ધરમપાલ સાથે કેબિનેટ અને બોર્ડ કોર્પોરેશન કમિશનમાં સ્થાન આપી શકાય તેવા ભાજપના કાર્યકરોના નામો વિશે ચર્ચા કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અનેક વિવાદો વચ્ચે વિનોદ તાવડેની હાજરીમાં ભાજપે 98 જિલ્લાઓમાંથી 65-70 જિલ્લા પ્રમુખોના નામ ફાઈનલ કર્યા છે. શનિવારે ભાજપ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળતાં યાદી જાહેર થાય તેવી પૂરી શક્યતા છે. સૂત્રો અનુસાર પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત ફેબ્રુઆરી મહિનાના અંતમાં કરવામાં આવશે. વિનોદ તાવડેએ પણ સીએમ યોગી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ આ મામલે એક અભિપ્રાય બનાવ્યો છે. જે દિલ્હીમાં હાઈ કમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે. જિલ્લા પ્રમુખોની યાદી જાહેર થયા બાદ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીના પ્રભારી પીયૂષ ગોયલ લખનઉ આવશે અને પછી નામાંકન સાથે તેઓ પ્રદેશ અધ્યક્ષ બનશે. યોગી સરકાર 2.0 નું બીજું કેબિનેટ વિસ્તરણ ટૂંક સમયમાં થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. સંગઠનમાં ફેરફારની અસર કેબિનેટમાં પણ જોવા મળી શકે છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સાથે જ કેટલાક વર્તમાન મંત્રીઓનું પત્તું પણ કપાઈ શકે છે.