‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર

May 05, 2026

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની ચોરી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પંચના સહયોગથી આ રાજ્યોમાં જીત મેળવી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘આસામ અને બંગાળ એ વાતના સ્પષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકોની ચોરી કરવામાં આવી છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોઈ નવી વાત નથી અને અગાઉ પણ આવી 'પ્લેબુક' જોવા મળી છે. તેમણે મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પ્રકારના આરોપો પહેલા પણ સામે આવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું, 'ચૂંટણીની ચોરી, સંસ્થાઓની ચોરી... હવે બીજો કોઈ રસ્તો જ શું છે!'
રાહુલની આ પ્રતિક્રિયા મમતા બેનર્જીના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીતને અનૈતિક ગણાવી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં 100થી વધુ બેઠકો પર જનાદેશ લૂંટવામાં આવ્યો છે. ભવાનીપુર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રની બહાર નીકળતા મમતાએ કહ્યું હતું કે, 'અમે વાપસી કરીશું.'

અખિલેશ યાદવે પણ લગાવ્યા ગંભીર આરોપ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ મમતા બેનર્જીનો વીડિયો શેર કરતા લખ્યું, 'શું હવે સત્તાધારી રાજકારણને પાતાળથી પણ નીચે લઈ જવામાં આવશે? દેશના રાજકીય ઇતિહાસનો આ એક ઘોર કાળો દિવસ છે. આજે આખો દેશ આક્રોશમાં છે અને લોકશાહી વ્યથિત છે. ચૂંટણી વ્યવસ્થાના નામે કેન્દ્રીય દળોનો જે દુરુપયોગ આજે બંગાળમાં મતગણતરીમાં થયો છે, બરાબર આવો જ ગોટાળો 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કરવામાં આવ્યો હતો, જેના સાક્ષી કન્નૌજની વિધાનસભા બેઠકો હતી. ત્યારબાદ આ જ નિંદનીય મોડલને ફરૂખાબાદની 2024ની લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું.'