ઈન્ડોનેશિયામાં 271 લોકોથી ભરેલી બોટમાં આગ: જીવ બચાવવા લોકોએ દરિયામાં લગાવી છલાંગ

August 02, 2026

અકસ્માતમાં 5 લોકોના મોત, 225 મુસાફરોનો બચાવ, રાહત અને બચાવ કામગીરી ચાલુ

ઇન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે, જ્યાં 271 લોકોથી ભરેલી એક ફેરીમાં સમુદ્રમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 41 લોકો હજુ પણ ગુમ છે. વિવિધ અહેવાલ મુજબ સર્ચ એન્ડ રેસ્ક્યુ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી ના જણાવ્યા અનુસાર, કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે જ્યારે આ જહાજ પૂર્વ જાવાના ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયાથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

એજન્સીના ડેટા મુજબ, ફેરીમાં કુલ 271 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી રવિવાર બપોર સુધીમાં 225 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. સુરાબયા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડા નાનાંગ સિગિટના જણાવ્યા અનુસાર, અનેક નજીકના જહાજો બચાવ કામગીરીમાં જોડાયા છે. તેમણે જણાવ્યું હતું કે, 'TB Hasnur 26' અને 'બ્રિટીશ મેન્ટર' જહાજો 'KMP Mutiara Sentosa 2' પરથી કૂદી પડેલા મુસાફરોને બચાવવામાં મદદ કરી રહ્યા છે. હાલમાં ચાર જહાજો ફેરીની સાથે છે. આ ઉપરાંત, સર્ચ-એન્ડ-રેસ્ક્યુ જહાજ 'SAR 249 Permadi' પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યું છે, જેને પહોંચવામાં અંદાજે 6 કલાકનો સમય લાગશે.
ઘટનાસ્થળના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ફેરીના ઉપલા ડેક પરથી જાડા કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા અને આગ ફેલાતી જોઈ શકાય છે. જીવ બચાવવા માટે લાઈફ જેકેટ પહેરેલા મુસાફરો જહાજની એક બાજુએ એકઠા થયેલા નજરે પડે છે. જોકે, આ ફૂટેજની સત્તાવાર સત્યતા હજુ સુધી વેરિફાઈ થઈ શકી નથી.