NCERT પુસ્તકમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનત પરનું ચેપ્ટર દૂર કરાયું

April 28, 2025

દિલ્હીના NCERTના નવા પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 7ના પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનત પરના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ નવા પ્રકરણો ભારતીય રાજવંશો, 'પવિત્ર ભૂગોળ', મહાકુંભ અને સરકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પગલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCFSE) 2023 સાથે સુસંગત છે, જે ભારતીય પરંપરાઓ, ફિલસૂફી, શિક્ષણ પ્રણાલીઓ અને સ્થાનિક સંદર્ભ પર ભાર મૂકે છે.

NCERT અધિકારીઓના જણાવ્યા મુજબ આ પાઠ્યપુસ્તકનો પહેલો ભાગ છે અને બીજો ભાગ આગામી મહિનાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. જોકે, તેમણે પુષ્ટિ કરી ન હતી કે અગાઉ દૂર કરાયેલા ભાગો ફરી ઉમેરવામાં આવશે કે નહીં. NCERTએ 2022-23માં કોવિડ-19 રોગચાળા દરમિયાન મુઘલો અને દિલ્હી સલ્તનત પર આધારિત ભાગો ઘટાડી દીધા હતા, 

પરંતુ હવે નવા પાઠ્યપુસ્તકમાંથી તેમને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'એક્સપ્લોરિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ' નામના સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં મગધ, મૌર્ય, શુંગ અને સાતવાહન જેવા પ્રાચીન ભારતીય રાજવંશો પર ધ્યાન કેન્દ્રિત કરતા નવા ચેપ્ટરોનો સમાવેશ થાય છે.