ચારધામ યાત્રાનો પ્રારંભ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ્યા : ૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન

April 20, 2026

ઉત્તરાખંડમાં ગઈકાલે ચારધામ યાત્રાની વિધિવત શરૂઆત થઈ ગઈ હતી. ગંગોત્રી ધામના કપાટ બપોરે ૧૨:૧૫ વાગ્યે અને યમુનોત્રી ધામના કપાટ બપોરે ૧૨:૩૫ વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. કપાટ ખૂલતાની સાથે જ મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

ગંગોત્રી મંદિરમાં પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. પૂજા પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે દર્શનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.

બીજી તરફ, બાબા કેદારનાથની પંચમુખી ડોલી પણ તેના શીતકાલીન સ્થળ ઓમકારેશ્વર મંદિરથી ફાટા જવા રવાના થઈ હતી. આ ડોલી ૨૧ એપ્રિલે કેદારનાથ ધામ પહોંચશે અને ૨૨ એપ્રિલના રોજ મંદિરના કપાટ ખોલવામાં આવશે.

ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં ૧૮ લાખથી વધુ લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગઈકાલે બપોરે ૩ વાગ્યા સુધીના આંકડા મુજબ શ્રદ્ધાળુઓમાં યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા યાત્રાના માર્ગો પર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.