કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, કોંગ્રેસને બમ્પર ફાયદો

August 28, 2026

દિલ્હી : એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સરવે અનુસાર, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળનું એનડીએ (NDA) ગઠબંધન 326 સીટો સાથે ફરીથી સત્તા પર વાપસી કરી શકે છે. જોકે, જાન્યુઆરી 2026 ના સરવેમાં એનડીએને 352 સીટો મળવાનું અનુમાન હતું, જેની સરખામણીએ છેલ્લા 6 મહિનામાં 26 સીટોનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં એનડીએ બહુમતીના આંકડા કરતાં ઘણું આગળ છે અને કેન્દ્રમાં સરકાર બનાવવાની મજબૂત સ્થિતિમાં છે. આ આંકડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2024 ના '400 પાર' ના લક્ષ્યાંકથી ઘણો પાછળ છે.


પાર્ટીવાર આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ નુકસાન થતું જણાય છે. તાજા સરવેમાં ભાજપને 261 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરી 2026 માં 287 સીટો હતું. એટલે કે ભાજપના અનુમાનિત આંકડામાં 26 સીટોનો ઘટાડો થયો છે, જોકે 2024 ની લોકસભા ચૂંટણીની 240 સીટોની સરખામણીએ આ દેખાવ હજુ પણ સારો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ સરવે આશાસ્પદ રહ્યો છે. કોંગ્રેસને 106 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરીના 80 સીટોના અનુમાન કરતાં 26 સીટો વધુ છે. ભાજપની સીટોના ઘટાડા પાછળ Gen Z અને યુવા મતદારોમાં વધતી નારાજગીને મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. પરીક્ષાના પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને કારણે યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. જુલાઈ માસમાં દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ થયેલા વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શન બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આંદોલન અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દાને વિપક્ષે જોરશોરથી ઉઠાવ્યો હતો.


કોંગ્રેસના નેતૃત્વ હેઠળના 'ઇન્ડિયા' ગઠબંધનને આ સરવેમાં 185 સીટો મળવાનું અનુમાન દર્શાવાયું છે, જેમાં જાન્યુઆરી 2026 ની સરખામણીએ 3 સીટોનો નજીવો વધારો થયો છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએનો અનુમાનિત વોટ શેર જાન્યુઆરીના 47% થી ઘટીને 45.1% થયો છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનનો વોટ શેર 39.1% રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહિલા અનામત અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પર કોંગ્રેસ દ્વારા બનાવાયેલી નવી વ્યૂહરચનાને કારણે પાર્ટીના પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે.