ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક

June 02, 2025

ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે. જેમાં કેરળમાં સૌથી વધારે 1435 કેસ સામે આવ્યા છે. જોકે, મહારાષ્ટ્ર 506 કેસ સાથે બીજા નંબર પર છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના આંકડા અનુસાર, સોમવાર (2 જૂન) સુધી 24 કલાકમાં 370 નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથનનું કહેવું છે કે, વધતા કેસના કારણે ડરવાની જરૂર નથી. 

આંકડા અનુસાર, ગત 24 કલાકમાં દિલ્હીમાં કોવિડથી એક મોત નિપજ્યું છે. 22 વર્ષની યુવતી શ્વાસ સાથે જોડાયેલી બીમારીથી પીડિત હતી. જેને ઉમેરતા અત્યાર સુધીમાં કુલ 4 મોત નિપજ્યા છે. 

જણાવી દઈએ કે, એશિયાના અનેક દેશોમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે, મોટાભાગના કેસ વધુ ગંભીર નથી. પરંતુ, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ રહી છે અને જે વૃદ્ધ છે, તેવા વ્યક્તિને કોવિડ-19નો સૌથી વધુ રિસ્ક છે. આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે, કોવિડ-19 રસીનો બુસ્ટર ડોઝ જરૂર લેવો જોઈએ. આ વધારો ખાસ કરીને કોરોના વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટમાં થઈ રહ્યા છે. એશિયાના દેશોમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ જે વેરિયન્ટની સિક્વન્સ કરી છે, તે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સીરિઝના છે. 

જાણકારો અનુસાર, JN.1 વેરિયન્ટ વઘુ સંક્રામક છે અને રોગપ્રતિકારક શક્તિને માત આપી દે છે. JN.1 વેરિયન્ટ ઓમિક્રોનનું જ એક રૂપ છે. તેથી, કોવિડની રસી આ વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. 

WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની અને એમએસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ સૌમ્યા સ્વામીનાથને પણ કોરોનાના નવા કેસ પર પ્રતિક્રિયા આપી છે. ગત થોડા વર્ષોમાં લોકોએ રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરી છે, જેના કારણે કોવિડથી ડરવાની જરૂર નથી.