દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક 'ભારે', વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના

November 29, 2025

શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 123 પહોંચ્યો છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. 
1. શક્તિશાળી વાવાઝોડાની શક્યતાને જોતાં તમિલનાડુમાં હાઈઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. SDRFની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડેપગે છે. લોકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 
2. આજે બપોરની સ્થિતિ અનુસાર દિતવાહ વાવાઝોડું ભારતના કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી જ્યારે ચેન્નઈથી 380 કિમી દૂર હતું. આજે મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર સુધીમાં વાવાઝોડું તમિલનાડુ અને આંધ્ર પ્રદેશથી પસાર થવાની શક્યતા છે. 
3. વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 
4. છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ, વાવાઝોડું, ભૂસ્ખલન જેવી કુદરતી આફતમાં શ્રીલંકામાં 123 લોકોના મોત થયા છે. જ્યારે 43 હજાર 900 લોકોએ ઘર છોડી શેલ્ટરમાં આશરો લેવો પડ્યો છે. 
5. શ્રીલંકાની મદદ કરવા માટે ભારત સૌથી પહેલા આગળ આવ્યું છે. ભારતીય નૌસેના અને વાયુસેનાની મદદથી શ્રીલંકામાં રાહત સામગ્ર પહોંચાડવામાં આવી રહી છે. ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતના 80 NDRF જવાન, 21 ટન રાહત સામગ્રી અને 8 ટન રેસ્ક્યૂ સામાન શ્રીલંકાને આપવામાં આવ્યા છે. 
6. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તથા હેલ્પલાઈન નંબર પર જાહેર કરાયો છે: +94 773727832
7. વાવાઝોડાથી લોકોને બચાવવા માટેની તૈયારીઓ મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. તથા વિવિધ સિનિયર મંત્રીઓને પણ સંવેદનશીલ વિસ્તારોની જવાબદારી આપવામાં આવી છે. 
8. પૂણે અને વડોદરાથી પણ NDRFની 10 ટીમો ચેન્નઈ મોકલવામાં આવી છે. 
9. રામેશ્વરમ-ચેન્નઈ સેક્ટરની 11 ટ્રેનોનો રૂટ ડાયવર્ટ કરાયો છે તથા રામેશ્વરમ ઓખા ટ્રેન શુક્રવારે રદ કરવામાં આવી હતી.