દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક

August 30, 2026

રાજકીય પક્ષમાં જોડાવાની બાબત ખોટી નથી : વાંગચુક

દિલ્હી : દિલ્હીના જંતર-મંતર પર 26 દિવસ સુધી અનશન કરનારા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે કૉકરોચ જનતા પાર્ટીના અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે એક પૉડકાસ્ટમાં કહ્યું કે, આ લોકોની રાજકીય મહત્ત્વકાંક્ષા છે. સોનમ વાંગચુકે કહ્યું કે, ‘તમને યાદ હશે કે, આ લોકો રાજકીય પાર્ટીમાંથી આવ્યા હોવાનું લોકો કહેતા હતા. કેટલાક લોકો કહેતા હતા કે, તેઓ આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે. કોઈએ ભૂતકાળમાં શું લખ્યું હતું, તેને હું કોઈ મુદ્દો બનાવવા માંગતો નથી. પરંતુ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની બાબત મને કોઈ ખોટી લાગતી નથી.’


તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો કહે છે કે, CJPના નેતાઓમાં રાજકીય મહત્ત્વકાંક્ષા છે કે નહીં? તો હું કહેવા માંગું છું કે, તેઓમાં રાજકીય મહત્ત્વકાંક્ષા છે. જ્યારે મેં તેઓને પારખ્યા તો મને તેમનામાં આ બાબતો જોવા મળી, પરંતુ આ કોઈ ખોટી વાત નથી. તેઓએ મને કંઈ કહ્યું નથી, પરંતુ હું પારખી શકું છું કે, તેઓમાં કેટલી મહત્ત્વકાંક્ષા છે અને આ લોકો કોઈ સંત પણ નથી કે તેમને કંઈ જોઈતું ન હોય. તેઓમાં જરૂર કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા હશે અને હોવી પણ જોઈએ. તેમાં કોઈ ખોટું પણ નથી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું એમ પણ કહેવા માંગું છું કે, જો આ પ્લેટફોર્મને રાજકીય પક્ષ તરીકે શરૂ કરવામાં આવ્યું નથી, તો તેની પવિત્રતા જાળવી રાખવી જોઈએ. જો આ પ્લેટફોર્મને એક તટસ્થ અને રાજકીય પાર્ટી પર દબાણ લાવતું ગ્રૂપ બનાવીને રાખશો તો વધુ કામ થઈ શકશે. આ પ્લેટફોર્મ રાજકીય નહીં બને તો લોકો તેમના પર વધુ આસ્થા રાખશે. બાકી તો તમે આગામી સમયમાં કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ શકો છો અથવા નવી રાજકીય પાર્ટી શરૂ પણ કરી શકો છો.’ વાંગચુકે કહ્યું કે, ‘લોકોએ આ પ્લેટફોર્મને ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મંચ તરીકે જોયું નથી. લોકોએ તેને માત્ર એક વિદ્યાર્થી આંદોલન તરીકે જોયું છે. તેથી તેને કોઈ રાજકીય રંગ આપવો સારી વાત નથી. ક્યારેક લોકો મને કહે છે કે, અમે તમને (વાંગચુક) જોઈને અહીં આવ્યા છીએ. હું તો CJPના નેતાઓને જાણતો પણ ન હતો. જો આ લોકો આગામી સમયમાં કોઈ ખોટું કરશે તો અમે તમને પકડીશું. હું એમ પણ ન કહી શકું કે, તેઓ ભ્રષ્ટ નહીં થાય, તેઓ રાજકીય રીતે સ્વાર્થી નહીં બને. હું આ બાબતો જાણતો નથી.’