રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ, મુંબઈમાં અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી

October 10, 2024

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ. 

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોલાબા સ્થિત તેમના નિવાસેથી એનસીપીએ ગ્રાઉન્ડ લઈ જવામાં આવી રહ્યો છે. 

શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પાર્ટીના નેતા રાહુલ કનાલે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને કેન્દ્ર સરકારને ભારત રત્ન માટે રતન ટાટાનું નામ મોકલવાની વિનંતી કરી છે. 

રતન ટાટાના અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના પાર્થિવ શરીરને એનસીપીએ ગ્રાઉન્ડમાં રખાશે. તેના માટે મરીન ડ્રાઈવ રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. 

ઝારખંડ સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટર પર પોતાના શોક સંદેશમાં લખ્યું છે કે ઝારખંડ જેવા દેશના પછાત રાજ્યને વિશ્વ સ્તરે ઓળખ અપાવનાર ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ અને પદ્મવિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.