UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં

February 25, 2026

બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે 'ઈ-વિઝા' (eVisa) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેસિંગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, ઈ-વિઝા એ વ્યક્તિના ઈમિગ્રેશન સ્ટેટસનો ડિજિટલ રેકોર્ડ છે, જે પ્રવાસીના પાસપોર્ટ સાથે ડિજિટલ રીતે લિંક રહેશે. આ સિસ્ટમ દ્વારા પ્રવાસીઓ ટુરિસ્ટ, સ્ટુડન્ટ કે વર્ક વિઝા જેવી વિગતો ઓનલાઇન 'UKVI' (UK Visas and Immigration) જોઈ શકશે. જે લોકો પાસે અત્યારે વેલિડ સ્ટીકર વિઝા છે, તેમણે નવેસરથી અરજી કરવાની જરૂર નથી, પરંતુ તેમણે પણ પોતાનું ઓનલાઇન એકાઉન્ટ બનાવી તેને પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે.

ભારતીય અરજદારો માટે આજથી યુકે ઈ-વિઝા સેવા શરૂ કરી દેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે. હવે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારોને તે જ દિવસે પાસપોર્ટ પરત મળી જશે, જેનાથી વિઝાના નિર્ણયની રાહ જોતી વખતે તેઓ અન્ય દેશોના વિઝા માટે અરજી કરી શકશે અથવા મુસાફરી કરી શકશે.