અભિવ્યક્તિ સ્વતંત્રતા છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય, કુણાલ કામરાની ટિપ્પણી મુદ્દે શિંદેની પ્રતિક્રિયા

March 25, 2025

એક પછી એક કોમેડિયન તેમના નિવેદનને લઈને વિવાદમાં ફસાતાં જઈ રહ્યા છે. એવામાં તાજેતરમાં કોમેડિયન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર કહીને વિવાદમાં ફસાયો હતો. એવામાં હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રતિક્રિયા સામે આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ. આ કોઈની વિરુદ્ધ બોલવાની 'સોપારી' લેવા જેવું છે.' શિંદેએ વધુમાં કહ્યું કે, 'આ જ વ્યક્તિએ ભારતની સર્વોચ્ચ અદાલત, વડાપ્રધાન, અર્નબ ગોસ્વામી અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પણ ટિપ્પણી કરી હતી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પરંતુ કોઈના ઇશારે કામ કરે છે તેવું છે.' આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું હું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.'
પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે નામ લીધા વગર જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ વીડિયો વાયરલ થતાં જ શિવસેના(શિંદે જૂથ)ના નેતાઓ ગુસ્સે થઈ ગયા હતા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.