બામણાસામાં ખેડૂત મહાસંમેલન યોજાયું, 100 ગામના ખેડૂતો પહોંચ્યા

October 25, 2024

જૂનાગઢ - બામણાસામાં ખેડૂતોએ મહાપંચાયત યોજીને સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે, ત્યારે ઘેડના ખેડૂતોની મુશ્કેલી, ઈકો ઝોન, લીલો દુષ્કાળ, ભુલ ભરેલી જમીન માપણી, નદી પ્રદુષિત  સહિતના મુદ્દે ખેડૂતોમાં રોષ છવાયો છે. આ ખેડૂતોની મહાપંચાયતનું આયોજન સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયા, આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ, ખેડૂત પુત્ર બજરંગ પુનિયા અને કિસાન મોરચાના કન્વીનર યોગેન્દ્ર યાદવ, આપના નેતા ગોપીલ ઈટાલિયા, જીગ્નેશ મેવાણી, ભાજપના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, આંદોલનકારી પ્રવિણ રામ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.


જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખાતે ખેડૂત મહાપંચાયતની મળેલી સભામાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માગ સ્વીકારવામાં નહીં આવે તો, આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું કે, 'સિંહ જંગલ બહાર આવે તે જંગલ ખાતાની નબળાઈ છે. ઈકો સેન્સિટિવ ઝોનને સરળ શબ્દોમાં સમજવું હોય તો જંગલનું રાજ્ય હતું તે 10 કિલોમીટર સુધી આગળ વધાર્યું છે. તેમાં જે થાય છે સરકારમાં બેઠેલા હોશિયાર છે કે રાજા-મહારાજા હોશિયાર છે? તે સમયે રાજા-મહારાજા દર વર્ષે જંગલનું કટિંગ કરાવતા હતા. તેથી સિંહ દોડીને શિકાર કરી શકતો હતો. તે દોડીને શિકાર નથી કરી શકતો એટલે સિંહને બહાર આવવું પડ્યું છે. આ જે સિંહ બહાર આવે છે તે જંગલ ખાતાની નબળાઈના કારણે બહાર આવે છે. તમે અઢી લાખ ઘેડ વિસ્તારના 100 ગામોના ખેડૂતોને રોજગાર વિહોણા કરો છો. એટલે તમારી રોજગારી છીનવી રહ્યા છો. અમે 5-10-15 લાખને રોજગારી આપી શકીએ એમ છીએ.'