ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે મુસાફર જહાજમાં ભીષણ આગ, 271માંથી 5ના મોત, 41 ગુમ, 225નો બચાવ

August 03, 2026

બાલીમાં ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક મુસાફર ફેરીમાં ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની છે, જેમાં અંદાજે 5 લોકોના મોત નીપજ્યા છે અને 41 જેટલા લોકો હજુ પણ ગુમ છે. અહેવાલો અનુસાર આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 271 લોકો સવાર હતા અને આગનું રૌદ્ર સ્વરૂપ જોઈને જીવ બચાવવા અનેક લોકોએ દરિયામાં છલાંગ લગાવી દીધી હતી, જેના દ્રશ્યો માધ્યમોમાં વાયરલ થયા હતા. બચાવ ટીમ દ્વારા 225 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો મુજબ આ ફેરી પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર તરફ જઈ રહી હતી, તે દરમિયાન જાવાના ઉત્તર-પૂર્વ તટ પર આવેલા મદુરા ટાપુ પાસે અચાનક ફેરીમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે આસપાસના દરિયાઈ વિસ્તારમાં અનેક જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા. હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જોકે ફેરીમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.