મહાકુંભમાં ફરી આગઃ કલ્પવાસી ટેન્ટના સિલિન્ડરમાં લીકેજથી દુર્ઘટના

February 09, 2025

પ્રયાગરાજ- પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટનાઓ સતત શરૂ છે. મહાકુંભ મેળામાં રવિવાર (9 ફેબ્રુઆરી) સવારે કલ્પવાસી ટેન્ટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. સેક્ટર 19 સ્થિત વટ માધવ માર્ગ દક્ષિણીમાં ઓમપ્રકાશ પાંડે સેવા સંસ્થાના કલ્પવાસી ટેન્ટમાં કર્મા પ્રયાગરાજ નિવાસી રાજેન્દ્ર જયસ્વાલ રોકાયા હતાં. વહેલી સવારે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ગેસ લિકેજના કારણે આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.  મળતી માહિતી મુજબ, આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની તુરંત કાર્યવાહીના કારણે આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, જે ટેન્ટમાં આગ લાગી હતી, તેનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.