35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકોનો રસ્તા પર આવી વિરોધ

April 23, 2025

પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નિર્દયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે. સરકાર સમક્ષ આકરી કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે.

શ્રીનગરમાં મોટાભાગના દુકાનો, ફ્યુલ સ્ટેશન, અને અન્ય વેપાર-ધંધાઓ બંધનું પાલન કરી રહ્યા છે. શહેરમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી છે. જાહેર પરિવહન સેવા અમુક વિસ્તારોમાં ચાલુ છે. જ્યારે અમુક જગ્યાએ બંધ છે. ખાનગી વાહનો ચાલુ છે. ખાનગી શાળાઓ બંધ છે, જ્યારે સરકારી શાળાઓ ચાલુ છે. શ્રીનગર સહિત કાશ્મીરના ફરવાલાયક તમામ સ્થળો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

કાશ્મીર ખીણમાં સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ દેખાવો થઈ રહ્યા છે. આ હુમલામાં અત્યારસુધીમાં લગભગ 28 લોકોના મોત થઈ ચૂક્યા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જેનાથી સમગ્ર ભારતમાં શોકનો માહોલ સર્જાયો છે. લોકોએ દોષિતોને આકરીથી આકરી સજા આપવાની માગ કરી છે. અનેક રાજકીય દળો, સામાજિક-ધાર્મિક સંગઠનો, વેપાર સંગઠનો અને નાગરિકોએ કાશ્મીર બંધને સમર્થન આપ્યું છે.