પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મસાલામાં પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ

April 29, 2026

પાન મસાલા અને ગુટખાના શોખીનો માટે મોટા સમાચાર છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) સુધારા નિયમ, 2026નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો મુખ્ય હેતુ પાન મસાલા ઉદ્યોગમાં થતો પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી નાબૂદ કરવાનો છે.

નવા ડ્રાફ્ટ મુજબ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ, સેશે, પોલીથીન, PVC કે અન્ય સિન્થેટિક મટિરિયલ અને ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવશે. માત્ર વેચાણ જ નહીં, પરંતુ આ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. તેના વિકલ્પ તરીકે સરકાર પેપર, સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા કાચની બોટલના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. નાના પ્લાસ્ટિક પાઉચના કારણે ગટરો જામ થવી અને પર્યાવરણને થતા નુકસાનને રોકવા આ નિર્ણય લેવાયો છે.