વલ્લભીપુરમાં ઘેલો નદીમાં ઘોડાપૂર, અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા

June 17, 2025

છેલ્લા બે દિવસથી ભાવનગરમાં વરસી રહેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જિલ્લાનાં અનેક ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ ધોવાઈ ગયાં છે. નદીઓમાં નવા નીરની આવક થતાં બે કાંઠે વહેતી થઈ છે. નદી નાળાના પાણી ગામડાઓમા ઘૂસી જતાં અનેક લોકો ફસાઈ ગયાં હોવાથી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદે તારાજી સર્જી છે. વલ્લભીપુરના આંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે.

ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતાં નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયાં છે. જેના કારણે નવાગામ,લોલીયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદી ઉફાન પર પહોંચી છે. જેના કારણે આસાપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાલીતાણામાં પણ કેટલાક ગામોમાં રસ્તા ધોવાઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.