HC સરકારે બે મહિનામાં 156 ગેરકાયદે ધાર્મિક સ્થાનો હટાવ્યા : HCમાં જવાબ

February 12, 2025

તા.21-11-2024થી તા.31-1-2025 સુધી રાજયમાં કુલ 156 જેટલા ગેરકાયદે અને અવરોધરૂપ ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જરૂર પડયે આવા કેસોમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા સરકારપક્ષને તાકીદ કરી હતી. વધુમાં હાઇકોર્ટે રાજયના ગૃહવિભાગને પણ આવા ધાર્મિક સ્થાનો હટાવવાના સમયે તેઓને પૂરતો અને યોગ્ય પોલીસ બંદોબસ્ત આપવા પણ નિર્દેશ કર્યો હતો.

હાઇકોર્ટે ધાર્મિક સ્થાનોની સમીક્ષા અને તેને દૂર કરવા મુદ્દે જિલ્લા સ્તરે રચાયેલી કમીટીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિના દરમ્યાન હાથ ધરાયેલી કામગીરીનો રિપોર્ટ પણ સરકાર પાસેથી માંગ્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.4થી માર્ચે રાખી હતી. રાજયમાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો હટાવવા અંગેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરતાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, રાજયમાં ઉપરોકત સમયમર્યાદામાં હટાવાયેલા કુલ 156 ધાર્મિક સ્થાનો પૈકી 127 ધાર્મિક સ્થાનો જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવી જગ્યામાંથી દૂર કરાયા છે.