તિબેટમાં ભૂકંપથી ભારે તબાહી, 32 લોકોના મોત, 38થી વધુ ઇજાગ્રસ્ત

January 07, 2025

નેપાળની સરહદે આવેલા તિબેટના પર્વતીય પ્રદેશમાં મંગળવારે સવારે એક કલાકની અંદર સતત છ ભૂકંપ આવ્યા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે. ભૂકંપના કારણે તિબેટમાં જાનમાલનું નુકસાન થયું છે અને 32 લોકોના મોત થયા છે. તિબેટના શિગાત્સે શહેરમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે.

ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે ઝિચાંગ ઓટોનોમસ રિજન (તિબેટના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.