લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો

August 30, 2026

ફોર્ચ્યુનર કારમાં હત્યા કરી લાશ નહેરમાં ફેંકી, જમીન વિવાદમાં હત્યાની આશંકા અને ડ્રાઈવર શંકાના દાયરામાં


લખનઉ : લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલી નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ધીરેન્દ્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ હત્યાકાંડને તેમની જ ફોર્ચ્યુનર કારમાં અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને તે જ ગાડીમાં લઈ જઈને નહેરમાં ફેંકી દેવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. ધીરેન્દ્ર પ્રતાપ સિંહ લખનઉના PGI વિસ્તારમાં રહેતા હતા, જ્યારે તેઓ મૂળ ઉન્નાવના વતની હતા. હત્યાની માહિતી મળતાં જ પોલીસે આ મામલે સઘન તપાસ તેજ કરી દીધી છે.


પોલીસને પ્રાથમિક તપાસમાં જમીનની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ મામલામાં ધીરેન્દ્રના ડ્રાઈવરની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડ્રાઈવરે વિરોધીઓ સાથે મળીને આ ગુનાને અંજામ અપાવ્યો હોઈ શકે છે. હાલ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં લાગેલી છે. બીજી તરફ મૃતદેહ મળ્યા બાદ પરિવાર અને પરિચિતોમાં ભારે ચકચાર અને શોકનો માહોલ છે.