સુરતમાં ગજબની ઘટના, પાલિકાની મંજૂરી વિના જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું, સાંસદ માગ કરતા રહી ગયા

June 04, 2025

સુરતમાં એક ગજબની ઘટના સામે આવી છે. પાલિકાની મંજૂરી વિના જ કોઈ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી ગયું છે અને આ વાતથી ખુદ પાલિકા જ અજાણ હતી. આ સર્કલના અનેક વીડિયો પણ વાઇરલ થયા હતા. જોકે મામલો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માગ કરી. ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી અડ્ડાનો સફાયો કરી દીધો હતો. ભારતીય સેનાએ કરેલા આ બહાદુરીના કામને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ તલપાપડ છે, જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું.  સુરતના સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂરથી થીમ પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. પરંતુ તેઓએ જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે. આનો જશ લેવાનો પ્રયાસ ગણવો કે સાંસદની અજ્ઞાનતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ જે સર્કલ બન્યું છે તે પણ પાલિકાની મંજૂરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત મહા નગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાની ચર્ચા છે.  પરેશન સિંદૂરની સફળતા બાદ અનેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી રહી છે અને ભારતીય સેનાને વધામણા આપવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને એક પત્ર લખ્યો હતો તેમાં રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની માંગણી કરી છે.  આ સર્કલમાં સ્વદેશી શસ્ત્રોની કૃતિઓ પ્રદર્શિત કરીને નાગરિકો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને સૈન્ય અંગે જાગૃતિ લાવવાનો હેતુ છે તેવો ઉલ્લેખ કરાયો છે. સાંસદે અડાજણ પ્રાઈમ આર્કેડ, મોરાભાગળ ચાર રસ્તા, રાંદેર અડાજણના મોટા સર્કલ અથવા સુરત હજીરા રોડ પર ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માંગણી કરી હતી.