Breaking News :
વિજય અને પક્ષની જીત બાદ પ્રેમિકા ત્રિશાનો જૂનો વીડિયો વાયરલ: એક્ટ્રેસે CM બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર 18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી

ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી

May 05, 2026

વર્ષ 1993માં મુંબઈ બ્લાસ્ટ પહેલાં ગોસાબારાના દરિયાકાંઠે મોટાપાયે વિસ્ફોટકો અને ઘાતક હથિયારો ઉતારવાના કાવતરામાં જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જામનગરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ અદાલતના ન્યાયાધીશ આર.પી. મોગેરાએ આ 33 વર્ષ જૂના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ જ્યારે 2 આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાનથી મોકલાયેલા આરડીએક્સ અને હથિયારો ઉતારવાના આ કેસમાં સ્થાનિક અને આંતરરાજ્ય શખ્સો સામેનો ગુનો સાબિત થયો છે, જે આંતકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ ગુજરાત સરકાર માટે મોટી સફળતા માનવામાં આવે છે.

આ કેસની તપાસમાં સાબિત થયું હતું કે બાબરી ધ્વંશનો બદલો લેવા માટે દુબઈમાં દાઉદ ઈબ્રાહીમના ઘરે આ કાવતરું ઘડાયું હતું અને પાકિસ્તાનની મદદથી તેને અંજામ આપવામાં આવ્યો હતો. 6 ડિસેમ્બર 1992 પછી દેશમાં અરાજકતા ફેલાવવા માટે દાઉદ ઈબ્રાહીમ અને મુસ્તુફા ડોસાએ જામનગર અને કચ્છના શખ્સોની મદદથી દરિયાઈ માર્ગે હથિયારો ઘુસાડ્યા હતા. કરાંચી નજીક પાકિસ્તાની મરીન સિક્યુરીટીની બોટમાંથી 'સદા અલ બહાર' નામની બોટ મારફતે 150 હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને આરડીએક્સ મેળવવામાં આવ્યું હતું. આ જથ્થો પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારીને ટ્રકો મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યો હતો.

આ કેસમાં કુલ 46 આરોપીઓમાંથી 11ના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયા હતા અને 6 આરોપીઓને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બાકીના 29 આરોપીઓ સામે ટ્રાયલ ચલાવ્યા બાદ અદાલતે ઓસ્માણ ઉમર કોરેજા, મામદ અલીમામદ, હારૂન સંધાર, એહમદ ઈસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ મેમણ, ઈફતેખાર અંસારી, મહંમદ અયુબ, લખમણ હરદાસ આહીર, સલીમ કુત્તા, મમુમીયા પંજુમીયા, ઈસ્તીયાક અંસારી અને કદીર અહેમદ શેખને દોષિત જાહેર કર્યા હતા. જોકે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ, ટાઇગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના 15 આરોપીઓને કોર્ટે હજુ પણ ભાગેડુ જાહેર રાખ્યા છે.