‘AAPની નવી સરકારમાં મનીષ સિસોદિયા બનશે નાયબ મુખ્યમંત્રી’ ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત

January 27, 2025

દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આ જ ક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે જંગપુરામાં પ્રચાર દરમિયાન કહ્યું કે, આમ આદમી પાર્ટીની નવી સરકારમાં મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી બનશે. કેજરીવાલે કહ્યું કે, ‘સિસોદિયા મારા સેનાપતિ છે, નાના ભાઈ છે અને સૌથી પ્રેમાળ છે. દિલ્હીમાં AAPની સરકાર બની રહી છે. તમામ લોકો કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી ભલે બે-ચાર બેઠકો ઓછી જીતે, પરંતુ સરકાર આમ આદમી પાર્ટીની જ બનવી જોઈએ. સિસોદિયા AAPની સરકારમાં ફરી નાયબ મુખ્યમંત્રી બનશે.’ તેમણે કહ્યું કે, આપ લોકોના ધારાસભ્ય જો નાયબ મુખ્યમંત્રી હશે, તો તમામ અધિકારી ફોન પર જ તમારું કામ કરી આપશે. કોઈ અધિકારીની હિંમત નહીં હોય કે તેઓ નાયબ મુખ્યમંત્રીની વિધાનસભાના વ્યક્તિનો ફોન ન ઉઠાવે. પ્રચાર દરમિયાન કેજરીવાલે કહ્યું કે, જે લોકો વીજળીનું ઝીરો બિલ ઉચ્છે છે, તેઓ આમ આદમી પાર્ટીને મત આપે અને જે લોકો વીજળી બીલમાં મોટી રકમ ભરવા ઈચ્છે છે, તેઓ ભાજપને વોટ આપે. ભાજપ કહે છે કે, જો તેમની સરકાર આવશે તો તેઓ વીજળી પરની સબસિડી સમાપ્ત કરી નાખશે. ભાજપ મફત વીજળીના વિરુદ્ધમાં છે.’