ખડગેની તબિયત ચાલુ ભાષણમાં લથડી, પછી કહ્યું- મોદીને સત્તા પરથી હટાવ્યા પહેલા નહીં મરું

September 29, 2024

જમ્મુ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપતાં આપતાં બેભાન થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચાલુ ભાષણમાં તબિયત લથડતા આસપાસના નેતાઓએ તેમને ટેકો આપી બેસાડ્યા હતા. અને થોડા સમય માટે તેમનું ભાષણ રોકવું પડ્યું હતું.


થોડી વાર બાદ તેમણે બેઠાં- બેઠાં ભાષણ આપ્યું હતું, પરંતુ ફરીથી વચ્ચે જ અટકી ગયા હતા. એ પછી તેમણે ઊભા થઈને 2 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘હું 83 વર્ષનો છું અને હજુ મરવાનો નથી. જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી નહીં હટાવું ત્યાં સુધી નહીં મરું.’ મલ્લિકાર્જુન ખડગેએ તેમના ભાષણમાં કહ્યું કે "આ લોકો (કેન્દ્ર સરકાર) ક્યારેય ચૂંટણી કરાવવા નથી ઈચ્છતાં. જો તેઓ ઇચ્છતા તો એકાદ-બે વર્ષમાં ચૂંટણી કરાવી શક્યા હોત. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રિમોટ-કંટ્રોલ સરકાર ચલાવવા માંગતા હતા."