Breaking News :

પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ: મણિપુર સહિત 5 રાજ્યોની ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ

April 21, 2026

મંગળવારે વહેલી સવારે 5:59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમીની ઊંડાઈએ ભૂગર્ભમાં હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પરંતુ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આ આંચકાના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ હતો. આ અગાઉ 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. જાપાનમાં આવેલા આ પ્રચંડ ભૂકંપના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પૂર્વોત્તર ભારતમાં વારંવાર આવતા ભૂકંપના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.