મહાકુંભ : પ્રથમ દિવસે એક કલાકમાં 40 લાખ ભક્તોએ કર્યુ મહાસ્નાન

January 13, 2025

પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થયો છે. જેમાં વિશ્વભરથી કરોડો ભક્તો આવવાના છે. પ્રથમ દિવસે બસ અને રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સવારે 8:00 વાગ્યા સુધી લગભગ 40 લાખ ભક્તોએ આસ્થાપૂર્વક સ્નાન કર્યું હતું. મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવનો અનોખો સમન્વય હશે. ભક્તોની સુવિધા માટે બોટ ભાડાના દરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

સ્નાન ઘાટ પર શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મહાકુંભમાં પ્રથમ વખત 'અંડરવોટર ડ્રોન' તૈનાત કરવામાં આવ્યું છે, જે 24 કલાક પાણીની અંદરની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં સક્ષમ છે. પોષ પૂર્ણિમા સ્નાન સાથે મહાકુંભનો પ્રારંભ થયો છે. આ દિવ્ય અવસરે ભક્તોએ ત્રિવેણી સંગમમાં શ્રધ્ધાપૂર્વક સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. રવિવારે લગભગ 50 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.

શનિવારે 33 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોટર પોલીસ, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. ઘાટ પર ડીપ વોટર બેરીકેડીંગ અને અન્ય સુરક્ષાના પગલાં છે. ત્રિવેણીના સંગમ પર અદ્ભુત વાતાવરણ છે. દેશ-વિદેશમાંથી કરોડો ભક્તોની શોભાયાત્રા નીકળે છે. ઉગતા સૂર્યની સાથે જ લાખો ભક્તો સંગમ કિનારે ઉમટી પડ્યા છે.