મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન

March 16, 2025

મેવાડ : મેવાડ રાજવંશના સંરક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. 81 વર્ષીય અરવિંદ સિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં શોકની લાગણી છવાઈ છે.


ઉદયપુરના સિટી પેલેસમાં જન્મેલા મહારાણા અરવિંદ સિંહની નિવાસ સ્થાને જ સારવાર ચાલી રહી હતી. તેમનો વંશજ લક્ષ્યરાજ સિંહ મેવાડ અને પુત્રી ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી પરમાર છે. સોમવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. મહારાણા અરવિંદ સિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતાં. તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગતવર્ષે 10 નવેમ્બર, 2024ના રોજ થયુ હતું. વસુંઘરા રાજેએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહારાજ અરવિંદસિંહજી મેવાડના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ઉદયપુર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તેમના નિધન પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતાં હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, આ દિવંગતની આત્મનાને શાંતિ આપજો.