ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત

May 04, 2026

બંગાળના 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે.

શુભેન્દુએ મમતાને 15,114 મતોથી હરાવ્યા

ગણતરીની શરૂઆતથી જ ભવાનીપુરમાં રસાકસી જોવા મળી રહી હતી. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સતત સમીકરણો બદલાતા હતા. જોકે, છેલ્લા કેટલાક રાઉન્ડમાં શુભેન્દુ અધિકારીની સરસાઈ સતત વધતી ગઈ અને અંતે તેમણે 15,114 મતોની સરસાઈ મેળવીને મમતા બેનર્જીનો પરાજય નિશ્ચિત કર્યો હતો. શુભેન્દુને 73,463 તો મમતા બેનરજીને 58,350 મતો મળ્યા છે. જે બેઠક પરથી મમતા બેનર્જી અજેય ગણાતા હતા, ત્યાં જ ભાજપે ગાબડું પાડીને 'દીદી' ને સત્તાની બહારનો રસ્તો બતાવ્યો છે.

 

નંદીગ્રામ બેઠક પરથી પણ શુભેન્દુ અધિકારની જીત

ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ અધિકારી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે નંદીગ્રામ બેઠક પર 10200 મતોથી ચૂંટણી જીતી લીધી છે. નંદીગ્રામના BJP ઉમેદવાર શુભેન્દુને 1,27,301 મતો, તો TMCના ઉમેદવાર પવિત્ર કરને 1,17,636 મતો મળ્યા છે, એટલે કે શુભેન્દુને આ બેઠક પર જોરદાર ટક્કરનો સામનો કરવો પડ્યો છે.