PM બન્યા બાદ પહેલીવાર મોદી RSS મુખ્યાલય જશે : હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરશે

March 17, 2025

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે ગુડી પડવાના અવસર પર નાગપુરની મુલાકાતે જશે. અહીં તેઓ દિવસભર ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ સંઘના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરના નામે બનાવવામાં આવનાર આંખની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરશે. કેશવ આંખની હોસ્પિટલમાં કાર્યક્રમ પછી પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતની બેઠક મળી શકે છે.

મહત્વનું છે કે પીએમ મોદી અને મોહનભાગવત નાગપુરમાં સ્ટેજ શેર કરશે. અગાઉ આ બંનેએ 2023 અને 2024માં રામમંદિરના ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સ્ટેજ શેર કર્યુ હતું. પીએમ બન્યા પછી તેઓ ડૉ. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપવા માટે રેશીમબાગની મુલાકાત લેશે. વર્ષા પ્રતિપદાના પહેલા દિવસે એટલે કે વર્ષના પહેલા દિવસે, પ્રધાનમંત્રી મોદી RSSના સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપશે. RSS માં વર્ષા પ્રતિપદાનું ખૂબ મહત્વ છે. જેને વર્ષના પહેલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.