હોર્મુઝમાંથી 20થી વધુ જહાજ પસાર, ઈરાનનો જળમાર્ગ બંધ થતા USનો ફરી મોટો દાવો

April 15, 2026

અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા નેવલ બ્લોકેડ (નૌકાદળની નાકાબંધી)ની અસર પ્રથમ દિવસથી જ સ્પષ્ટ જોવા મળી રહી છે. 15 એપ્રિલના રોજ પૂર્ણ થયેલા 24 કલાકના આંકડા મુજબ, મિડલ ઈસ્ટના હોર્મુઝની સામુદ્રધુનીમાંથી 20થી વધુ કોમર્શિયલ જહાજો કોઈપણ અડચણ વિના સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. બીજી તરફ, બ્લોકેડના કારણે ઈરાનના બંદરો પરથી એક પણ જહાજ રવાના થઈ શક્યું નથી. અમેરિકાની કડક ચેતવણી બાદ 6 વ્યાપારી જહાજોને પરત ફરવાની ફરજ પડી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાક્રમને મોટી સફળતા ગણાવતા કહ્યું કે, હવે યુદ્ધ ખતમ થવાની તૈયારીમાં છે. તેમણે દાવો કર્યો હતો કે જો અમેરિકાએ આ કડક પગલું ન ભર્યું હોત, તો આજે ઈરાન પાસે ઘાતક પરમાણુ હથિયારો હોત.

આ સમગ્ર ઑપરેશનની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેમાં એક પણ ગોળીબાર થયો નથી કે કોઈ લશ્કરી હુમલાની જરૂર પડી નથી. નિષ્ણાતો અમેરિકાની આ રણનીતિને 'સાયલન્ટ પ્રેશર' (શાંત દબાણ) તરીકે ઓળખાવી રહ્યા છે. બળપ્રયોગ વિના જ ઈરાનને પીછેહઠ કરવા માટે મજબૂર કરી દેવામાં આવ્યું છે.

હોર્મુઝમાંથી 20થી વધુ જહાજોનું સુરક્ષિત પસાર થવું એ વાતની સાબિતી છે કે અમેરિકન બ્લોકેડ હાલ માત્ર ઈરાન સાથે સંકળાયેલા જહાજોને જ ટાર્ગેટ કરી રહ્યું છે. અન્ય આંતરરાષ્ટ્રીય જહાજો માટે આ જળમાર્ગ સંપૂર્ણપણે ખુલ્લો છે અને ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે. હાલમાં સીઝફાયર (યુદ્ધવિરામ) જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કોઈપણ નવો હુમલો નોંધાયો નથી.